માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા દ્વારા તા. ૩૧/૦૭/૨૦૨૪ના રોજ "કાયદાના સંશોધનમાં ભાષાઓનું મહત્વ" વિષય પર શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય હેતુ કાયદાકીય સંશોધનમાં ભાષાકીય પ્રાવીણ્ય, સંશોધન પદ્ધતિ અને બહુભાષીય અભિગમના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
કાર્યક્રમના પ્રારંભે ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમણે કાયદાકીય શિક્ષણ અને સંશોધનમાં ભાષાનું વિશેષ મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે અસરકારક સંશોધન માટે વિવિધ ભાષાઓનું જ્ઞાન, પ્રમાણભૂત સંદર્ભોનો અભ્યાસ અને ભાષાકીય અભિવ્યક્તિ અનિવાર્ય છે.
કાર્યક્રમમાં વિષય નિષ્ણાત તરીકે પ્રો. રાજેન્દ્ર ચોટલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અત્યંત રસપ્રદ, સંવાદાત્મક અને આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને કાયદાના સંશોધનમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત વિવિધ ભાષાઓના ઉપયોગ, કાયદાકીય સાહિત્યના અભ્યાસ, સંશોધન લેખન, અનુવાદ તથા સંદર્ભગ્રંથોના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ વિવિધ પ્રશ્નો પૂછીને સક્રિય સહભાગિતા નોંધાવી હતી.
કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. સાગર અમીપરા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે એલએલ.એમ. સત્ર–૧ અને સત્ર–૩ના વિદ્યાર્થીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના શૈક્ષણિક સેમિનારો દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય સંશોધન પ્રત્યે અભિરુચિ વિકસે છે, ભાષાકીય કુશળતામાં વધારો થાય છે અને ગુણવત્તાસભર સંશોધન માટે આવશ્યક શૈક્ષણિક દૃષ્ટિકોણનો વિકાસ થાય છે.